ISPL : ભારતની અગ્રણી ટેનિસ-બોલ ટી10 ક્રિકેટ લીગ ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (આઈએસપીએલ)માં હવે અમદાવાદની ટીમ પણ જોવા મળશે. બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગણ અમદાવાદની નવી ફ્રેન્ચાઇઝીના માલિક બન્યા છે. 2024માં લોન્ચ થયેલી આઈએસપીએલ મજબૂત વિઝનરી લીડરશિપ ગ્રુપ દ્વારા સમર્થિત છે. જેમાં મહાન ક્રિકેટર સચિન તેંડુલકર, કેબિનેટ મંત્રી આશિષ શેલાર, સુરજ સમત અને મિનલ અમોલ કાલેનો સમાવેશ થાય છે.
આ લીગ ભારતના ગલીના પ્રતિભાશાળી ખેલાડીઓને શોધે છે
આ લીગમાં તાજેતરમાં જ નવી દિલ્હી ફ્રેન્ચાઇઝીની માલિક બોલિવૂડ સ્ટાર સલમાન ખાન ખરીદી હતી. હવે અમદાવાદથી આઠમી ટીમ ઉમેરાતા આઈએસપીએલે સાચા અર્થમાં નેશનલ ક્રિકેટિંગ પ્લેટફોર્મ બનાવવા તરફ વધુ એક મહત્વનું પગલું ભર્યું છે. આ પ્લેટફોર્મ સમગ્ર ભારતના ગલી-ગલીના પ્રતિભાશાળી ખેલાડીઓને શોધે છે અને તેમને નેશનલ હીરો બનાવે છે.
સચિન તેંડુલકરે શું કહ્યું
આઈએસપીએલના કોર કમિટી મેમ્બર સચિન તેંડુલકરે જણાવ્યું હતું કે આઈએસપીએલના મૂળિયા ટેનિસ બોલ ક્રિકેટમાં યુવા અને અનુભવી ખેલાડીઓના સ્વપ્નો માટે લોન્ચપેડ પૂરું પાડવાના વિચારમાં રહેલા છે. આપણા ક્રિકેટર્સને ઉચ્ચ સ્તરે રમવાની તક તો મળવી જ જોઈએ, ઉપરાંત ઝળકવા માટે એક મંચ પણ મળવું જોઈએ. આગામી સિઝનમાં નવી ટીમો ઉમેરાવાથી સમગ્ર દેશમાં ઉભરતા ક્રિકેટર્સ માટેના દરવાજા ખુલી જશે.
આઈએસપીએલના કોર કમિટી મેમ્બર આશિષ શેલારે જણાવ્યું હતું કે આઈએસપીએલ ટેનિસ બોલ ક્રિકેટને પ્રોફેશનલ મંચ પર લઈ જઈને તેમાં પરિવર્તન લાવી રહી છે. અજય દેવગણ અમદાવાદની ટીમનું સુકાન સંભાળી રહ્યા છે ત્યારે અમે અમદાવાજ જેવા ક્રિકેટથી સમૃદ્ધ શહેરોમાં પ્રતિભાશાળી ખેલાડીઓ માટે વધુ તકો પૂરી પાડતા રોમાંચિત છીએ.
આઈએસપીએલના કોર કમિટી મેમ્બર અને લીગ કમિશ્નર સુરજ સમતે જણાવ્યું હતું કે અજય દેવગણને અમદાવાદની ટીમના માલિક તરીકે સ્વાગત કરતા અમે રોમાંચિત છીએ. તેઓ આઈએસપીએલમાં ખૂબ જ વિશ્વસનીયતા, પહોંચ અને ઊર્જા લાવે છે. ક્રિકેટ માટે તેમનો જુસ્સો તથા તેમની વ્યાપારી સૂઝ તેમને અમારી લીગમાં એક મૂલ્યવાન ઉમેરો બનાવે છે. તેમની હાજરી નિઃશંકપણે ચાહકો અને ખેલાડીઓ, ખાસ કરીને ગુજરાતમાં, પ્રેરણા આપશે જ્યાં ક્રિકેટ લોકોની રગેરગમાં વહે છે.
આ પણ વાંચો – સંજુ સેમસનની ધમાકેદાર બેટિંગ, 1 બોલમાં 13 રન ફટકાર્યા! જુઓ Video
આઈએસપીએલના કોર કમિટી મેમ્બર મિનલ અમોલ કાલેએ જણાવ્યું હતું કે અમદાવાદ એક સમૃદ્ધ સ્પોર્ટ્સ કલ્ચર ધરાવે છે. અજય દેવગણ નવી ટીમના માલિક બનતા અમે તેને સ્થાનિક સમુદાયોને જોડવાની અને ખેલાડીઓની આગામી પેઢીને પ્રેરણા આપવાની એક શક્તિશાળી તક જોઈએ છીએ. આ પગલું આઈએસપીએલને ખરેખર સમગ્ર ભારતમાં અભિયાનમાં ફેરવવાની અમારી મહત્વાકાંક્ષાને મજબૂત બનાવે છે.
અજય દેવગણે શું કહ્યું
આઈએસપીએલમાં જોડાવા અંગેનો ઉત્સાહ વ્યક્ત કરતા અજય દેવગણે જણાવ્યું હતું કે આઈએસપીએલ તેના નવીન ફોર્મેટ સાથે ન કેવળ નવી પ્રતિભાઓ શોધી છે પરંતુ તેમને ચમકવા માટે ખૂબ જ જરૂરી પ્લેટફોર્મ પણ આપ્યું છે. અમદાવાદ ફ્રેન્ચાઇઝના ટીમ માલિક તરીકે આટલી સમૃદ્ધ રમતગમતની ભાવના ધરાવતા શહેરનું પ્રતિનિધિત્વ કરતા, સમગ્ર રાષ્ટ્ર માટે એક સાથે આવવાનો અને ભારતના ચેમ્પિયન્સની ઉજવણી કરવાનો સમય આવી ગયો છે.
આઈએસપીએલમાં આ સેલેબ્રિટીઓ પણ ટીમના માલિક છે
અજય દેવગણ અને સલમાન ખાનના ઉમેરા સાથે આઈએસપીએલ હવે સેલિબ્રિટી ટીમ માલિકોની પ્રભાવશાળી લાઇન-અપ ધરાવે છે કારણ કે તેઓ ચમકતા સ્ટાર્સના માલિકોના જૂથમાં જોડાય છે, જેમાં અમિતાભ બચ્ચન (માઝી મુંબઈ), સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન (ટાઈગર્સ ઓફ કોલકાતા), અક્ષય કુમાર (શ્રીનગર કે વીર), સૂર્યા (ચેન્નઈ સિંગમ્સ), ઋત્વિક રોશન (બેંગ્લોર સ્ટ્રાઈકર્સ) અને રામ ચરણ (ફાલ્કન રાઇઝર્સ હૈદરાબાદ)નો સમાવેશ થાય છે.
આઈએસપીએલે તેની આગામી ત્રીજી સિઝન માટે 4.2 મિલિયન ખેલાડીઓની નોંધણીનો આંકડો પાર કરી દીધો છે. રજિસ્ટ્રેશન્સ હજુ પણ www.ispl-t10.com પર ચાલુ છે. દેશભરના 101 શહેરોમાં ટ્રાયલ હાથ ધરવામાં આવશે.