IPL 2026: આઈપીએલ 2026ની હરાજી પહેલા ટ્રેડિંગ વિંડો ખુલ્લી છે. આ દરમિયાન લાગી રહ્યું છે કે રાજસ્થાન રોયલ્સ અને સંજૂ સેમસન અલગ થઇ શકે છે. ફ્રેન્ચાઈઝી અને કેપ્ટન વચ્ચેના મતભેદો એ હદે પહોંચી ગયા છે કે ખેલાડીને રિલીઝ કરવા માટે વિનંતી કરી છે. એવા અહેવાલો છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) સંજુ સેમસનને પોતાની સાથે જોડવા માંગે છે. કોચ સ્ટીફન ફ્લેમિંગ અને સેમસનની મુલાકાત પણ થઇ ગઇ છે.
મહેન્દ્ર સિંહ ધોની, રવિન્દ્ર જાડેજા અને રુતુરાજ ગાયકવાડ જેવા ખેલાડીઓ હોવા છતાં પાંચ વખતની આઇપીએલ ચેમ્પિયન ફ્રેન્ચાઇઝી કેરળના વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને પોતાની ટીમમાં શા માટે જોડવા માંગે છે? શું સીએસકેને લાગે છે કે સંજુ ધોનીની જેમ લોકપ્રિયતા મેળવી શકે છે? સંજુના આવવાથી નંબર-3ની સમસ્યાનો ઉકેલ આવી શકે છે. ફ્રેન્ચાઇઝીને હજી સુધી આ પદ પર સુરેશ રૈનાનો વિકલ્પ મળ્યો નથી.
આ કારણે સીએસકે સંજુ સેમસનને ટીમમાં સામેલ કરવા માંગે છે
- ચેન્નાઈ સુપર કિંગ્સે મહેન્દ્રસિંહ ધોની પાસેથી આગળ વધવાનો રસ્તો શોધવો પડશે. કોઈ પણ ફ્રેન્ચાઈઝી માટે વિકેટકિપર, બેટ્સમેન અને કેપ્ટનનો કોમ્બો મેળવવો ખુબ જ મુશ્કેલ હોય છે. સવાલ એ નથી કે આવા ખેલાડી નથી. સવાલ એ છે કે તેઓ કેટલા સફળ છે? એમએસ ધોની બાદ સંજુ સેમસન આ અહીં ફિટ બેસે તેવું લાગી રહ્યું છે. તે ધોનીનો યોગ્ય વિકલ્પ સાબિત થઈ શકે છે.
- ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સૌથી મોટી સમસ્યા નંબર-3ની છે. એક સમયે આઇપીએલનો સૌથી સફળ બેટ્સમેન આ નંબર પર રમતો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સને આઇપીએલની સૌથી સફળ ફ્રેન્ચાઈઝી બનાવવામાં સુરેશ રૈનાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ચેન્નઈ સુપર કિંગ્સને હજી સુધી ‘ચિન્નાથલા’ ઉર્ફે સુરેશ રૈનાનો વિકલ્પ મળ્યો નથી.
આ પણ વાંચો – સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ છોડવા માંગે છે, ફ્રેન્ચાઇઝીને રિલીઝ કે ટ્રેડ કરવા કહ્યું – રિપોર્ટ
- મહેન્દ્ર સિંહ ધોની મેદાન પર ચેન્નઈ સુપર કિંગ્સ માટે માત્ર સંકટમોચક જ રહ્યા નથી. 5 વખત ચેમ્પિયન બન્યા બાદ પણ ફ્રેન્ચાઈઝી ધોનીની લોકપ્રિયતા પર ટકેલી છે. આ લોકપ્રિયતા ફ્રેન્ચાઇઝી માટે ઘાતક છે. પ્રશંસકો ધોનીને બેટિંગ કરતા જોવા માટે ખેલાડીઓ આઉટ થાય તેવી પ્રાર્થના કરે છે. આવી સ્થિતિમાં, ‘થાલા’ની નિવૃત્તિ પછી આ ચાહક વર્ગને અકબંધ રાખવો એ એકદમ પડકાર છે. સંજુનો ફેન બેઝ એવો છે કે તે આ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે.
- સંજુ સેમસન પણ કેપ્ટન તરીકે પોતાને સાબિત કરી ચૂક્યો છે. આઈપીએલ 2025માં ઈજાના કારણે સેમસન વધારે કેપ્ટનશિપ કરી શક્યો ન હતો. અગાઉ કેપ્ટન તરીકે તેનું પ્રદર્શન સારું રહ્યું હતું. સંજુ સેમસનની કેપ્ટનશિપમાં રાજસ્થાન રોયલ્સ આઇપીએલ 2024માં પ્લેઓફમાં પહોંચી હતી. 2023માં આઇપીએલ 5માં ક્રમે હતી. આઇપીએલ 2022માં ફાઇનલ રમી હતી.