BCCI Action Against Digvesh Rathi : આઇપીએલ 2025માં સોમવારે સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપરજાયન્ટ્સ વચ્ચે ટક્કર જોવા મળી હતી. આ રોમાંચક મુકાબલામાં હૈદરાબાદના ઓપનર અભિષેક શર્મા અને લખનઉના સ્પિનર દિગ્વેશ રાઠી વચ્ચે રકઝક થઇ હતી. જેના કારણે ભારતીય ક્રિકેટ બોર્ડે આચારસંહિતાના ભંગ બદલ દિગ્વેશ રાઠી અને અભિષેક શર્મા બંનેની સામે કાર્યવાહી હાથ ધરી છે.
દિગ્વેશ રાઠી પર એક મેચનો પ્રતિબંધ મુકાયો
આઇપીએલની આચારસંહિતાના ભંગ બદલ બીસીસીઆઇએ દિગ્વેશ રાઠી પર એક મેચનો પ્રતિબંધ મૂકી દીધો છે. આ સિવાય મેચ ફીના 50 ટકા દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. બીજી તરફ અભિષેક શર્માને મેચ ફીની 25 ટકા રકમ પેનલ્ટી તરીકે ચૂકવવી પડશે. તેના નામે એક ડિમેરિટ પોઇન્ટ પણ નોંધવામાં આવ્યો છે.
આ ત્રીજી વખત છે જ્યારે દિગ્વેશ રાઠીને મેચ દરમિયાન આચારસંહિતા ન જાળવવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. તેના પર આઈપીએલની કલમ 2.5 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
અગાઉ તેને 1 એપ્રિલ 2025 ના રોજ પંજાબ કિંગ્સ સામે એક ડિમેરિટ પોઇન્ટ અને 4 એપ્રિલ 2025ના રોજ મુંબઇ ઇન્ડિયન્સ સામે બે ડિમેરિટ પોઇન્ટ મળ્યા હતા. આ તાજેતરના ભંગ સાથે દિગ્વેશને વધુ બે ડિમેરિટ પોઇન્ટ મળ્યા છે, જેના કારણે તેના કુલ ડિમેરિટ પોઇન્ટ પાંચ થઈ ગયા છે. જેથી તેના પર એક મેચનો પ્રતિબંધ મુકાયો છે.
આ પણ વાંચો – અમદાવાદમાં LSG સામેની મેચમાં ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ લવંડર જર્સી પહેરી ઉતરશે, જાણો કારણ
આઇપીએલના નિયમ અનુસાર પાંચ ડિમેરિટ પોઇન્ટના કારણે એક મેચનું સસ્પેન્શન થાય છે. તેથી દિગ્વેશ સિંહને લખનઉ સુપર જાયન્ટ્સની આગામી મેચમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે, જે 22 મે 2025 ના રોજ અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામે છે.
દિગ્વેશ રાઠી સામે કુલ કાર્યવાહી
એક વખત તેને 25 ટકા દંડ થયો હતો એટલે 1.87 લાખ રૂપિયા થયા છે અને બે વખતે 50 ટકા દંડ એટલે કે 7.50 લાખ રૂપિયા થયા છે. એક મેચનો પ્રતિબંધ એટલે કે 7.50 લાખ રૂપિયાનું નુકસાન થશે. એટલે કે તેને દંડના કારણે કૂલ 16.87 લાખ રૂપિયાનું નુકસાન થયું છે.
દિગ્વેશ રાઠીને આઇપીએલની સિઝન દરમિયાન લખનઉ સુપર જાયન્ટ્સે 30 લાખ રૂપિયામાં સાઇન કર્યો હતો અને હવે તેને ત્રણ વખત દંડના કારણે 16.87 લાખ રૂપિયા ગુમાવવા પડ્યા છે. આ કારણે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.