Rishabh Pant Injury : ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસની રમત શરુ થાય તે પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઋષભ પંત ઇજાને કારણે આખી સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. માન્ચેસ્ટર ટેસ્ટમાં પ્રથમ દિવસે જ રિટાયર્ડ હર્ટ થનાર ભારતીય વિકેટકિપર ઋષભ પંતના અંગૂઠામાં ફ્રેક્ચર થતાં તેને છ સપ્તાહ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. જોકે ઇજા હોવા છતા તે ટીમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બેટિંગ કરવા આવ્યો હતો અને અડધી સદી ફટકારી હતી.
રિવર્સ સ્વિપ કરવાના પ્રયાસમાં બોલ વાગ્યો હતો
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે 68મી ઓવરમાં 37 રને બેટિંગ કરી રહેલા ઋષભ પંતે ફાસ્ટ બોલર ક્રિસ વોક્સ સામે રિવર્સ સ્વિપ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ચૂકી ગયો હતો અને તેના જમણા પગના અંગૂઠામાં ઈજા થઈ હતી. બોલ સીધો અંગૂઠામાં અથડાયો. ફિઝિયો જ્યારે ઋષભ પંતના જમણા પગની દેખભાળ કરી રહ્યા હતા, ત્યારે તે દર્દથી તડપતો હતો અને જમીન પર સૂતો હતો, જે લોહીના ડાઘા પડી ગયેલા કટને કારણે એકદમ સોજાવાળો થઈ ગયો હતો.
સ્કેન રિપોર્ટમાં ફ્રેક્ચરની પૃષ્ટિ
બીસીસીઆઈના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે સ્કેન રિપોર્ટમાં ફ્રેક્ચર જોવા મળ્યું હતું અને તે છ અઠવાડિયા માટે મેદાનની બહાર થઇ ગયો છે. મેડિકલ ટીમ એ જોવાનો પ્રયાસ કરી રહી છે કે શું તે પેઇનકિલર્સ સાથે બેટિંગ કરવા પાછો આવી શકે છે. જોકે તેને ચાલવા માટે હજુ પણ સપોર્ટની જરૂર છે.
આ પણ વાંચો – યશસ્વી જયસ્વાલની કમાલ, 51 વર્ષ પછી માન્ચેસ્ટરમાં ભારતીય ઓપનરે મેળવી આવી સિદ્ધિ
એન જગદિશનને તક મળી શકે છે
ઈંગ્લેન્ડ સામે શ્રેણીની અંતિમ પાંચમી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં ઋષભ પંતની જગ્યાએ તમિલનાડુના 29 વર્ષીય વિકેટકીપર બેટ્સમેનન એન જગદિશનને તક મળી શકે છે. જમણેરી વિકેટકિપર બેટ્સમેન ભારતીય ટીમની સાથે જોડાશે તે લગભગ નિશ્ચિત મનાય છે અને ક્રિકબઝના મતે ટૂંક સમયમાં જ તેની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. આ પહેલા એવા પણ રિપોર્ટ હતા કે ઇશાન કિશનને ટીમમાં સામેલ કરશે,
જણાવી દઈએ કે ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમ પહેલાથી જ ઈજાના સંકટ સામે ઝઝૂમી રહી છે. ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી પહેલા જ ઘૂંટણની ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ફાસ્ટ બોલર આકાશ દીપ (કમરની ઇજા) અને અર્શદિપ સિંહ (અંગુઠાની ઇજા) પણ ચોથી ટેસ્ટ માટે ઉપલબ્ધ નથી.