Waqf Bill meet: વકફ બિલની સંયુક્ત સંસદીય સમિતિની બેઠકમાં મંગળવારે ફરી એકવાર હંગામો થયો હતો. આ બેઠક દરમિયાન ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસના સભ્યો વચ્ચે જોરદાર વિવાદ થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ ત્યાં રાખેલી કાચની પાણીની બોટલ ઉપાડીને તેને ટેબલ પર પછાડી દીધી હતી અને ભૂલથી પોતાને ઇજા પહોંચાડી હતી. તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. બાદમાં તેમને એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસી અને આપના નેતા સંજય સિંહ મીટિંગ રૂમમાં પાછા લઈ જતા જોવા મળ્યા હતા.
સરકાર દ્વારા ઓગસ્ટમાં લોકસભામાં રજૂ કરવામાં આવેલા વકફ બિલની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ સમિતિની અધ્યક્ષતા ભારતીય જનતા પાર્ટીના જગદંબિકા પાલ કરી રહ્યા છે. ઘટના સમયે કમિટી ન્યાયાધીશો અને વકીલોના એક ગ્રુપની સલાહ સાંભળી રહી હતી. આ દરમિયાન અચાનક કલ્યાણ બેનર્જીએ ઊભા થઈને બોલવાનું શરૂ કર્યું. ભાજપના નેતા અભિજિત ગંગોપાધ્યાયે તેમના ભાષણ સામે સખત વાંધો ઉઠાવ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર જ્યારે અભિજિત ગંગોપાધ્યાયે વાંધો ઉઠાવ્યો તો ટીએમસી સાંસદે તેમની વિરુદ્ધ વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ પછી તેમણે ગુસ્સામાં કાચની બોટલ ઉપાડી અને ટેબલ પર પછાડી હતી. જેમાં તે પોતે જ ઇજાગ્રસ્ત થયા હતા.
આ પણ વાંચો – LAC પર પેટ્રોલિંગને લઇને ભારત-ચીન વચ્ચે સમજુતી, વિદેશ મંત્રાલયે જાહેર કર્યું નિવેદન
સંસદના એનેક્સી ભવનમાં થઇ મીટિંગ
વકફ (સુધારા) બિલ, 2024 પર જેપીસીની બેઠક દિલ્હીમાં સંસદ ભવનના એનેક્સી બિલ્ડિંગમાં યોજાઇ હતી. ભાજપના સાંસદ સાંસદ જગદંબિકા પાલની અધ્યક્ષતાવાળી આ સમિતિનો હેતુ વકફ એક્ટમાં સુધારો કરવાનો છે, જેથી વકફની મિલકતોનો ઉપયોગ સમુદાયના લાભ માટે કરવામાં આવે.
વિપક્ષી સભ્યોએ રાજકીય કારણોસર બિલ રજૂ કરવાનો આરોપ લગાવ્યો
વિપક્ષી સભ્યોએ સરકાર પર રાજકીય કારણોસર આ બિલ રજૂ કરવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે તે મુસ્લિમ સમુદાયને નિશાન બનાવીને લાવવામાં આવ્યું છે. એઆઈએમઆઈએમ નેતા અસદુદ્દીન ઓવૈસીએ સોમવારે લગભગ એક કલાક સુધી બિલની ટીકા કરી હતી અને ચિંતા વ્યક્ત કરી હતી.