US-India trade tensions 2025 : અમેરિકાના વિત્ત મંત્રી સ્કોટ બેસેન્ટે કહ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો જટિલ છે, પરંતુ આખરે બંને દેશો એક સાથે આવી જશે. બેસેન્ટની આ ટિપ્પણી એવા દિવસે આવી છે જ્યારે યુ.એસ.માં ભારતીય નિકાસ પર 50 ટકા ટેરિફ લાગુ થયો હતો.
ફોક્સ બિઝનેસને આપેલા ઇન્ટરવ્યૂમાં સ્કોટ બેસેન્ટે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે સારા સંબંધો છે, તે માત્ર રશિયન તેલની વાત નથી. મને લાગ્યું હતું કે મે અથવા જૂન સુધીમાં કોઈ ડીલ થઈ જશે. આ ઉપરાંત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું એક પાસું પણ છે, જેમાંથી તેઓ નફો રળી રહ્યા છે.
નાણામંત્રીએ વધુમાં કહ્યું કે ઘણા સ્તરે વાતચીત ચાલી રહી છે. મને લાગે છે કે ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે અને અમેરિકા વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. મને લાગે છે કે આખરે અમે સાથે આવી જઇશું. જ્યારે વેપાર સંબંધોમાં ભંગાણ પડે છે, ત્યારે જે દેશને નુકસાન થાય છે તે દેશને ફાયદો થાય છે.
રશિયા પાસેથી તેલ ખરીદવાનું જણાવ્યું કારણ
ટ્રમ્પે જ્યારે ભારત પર વધારાના 25 ટકા ટેરિફ લગાવ્યા હતા, ત્યારે તેમણે કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે અને તેમાંથી મળેલા નાણાંનો ઉપયોગ રશિયા યુક્રેન સામેના યુદ્ધમાં કરી રહ્યું છે. ભારતે કહ્યું છે કે અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા 50 ટકા ટેરિફ સંપૂર્ણપણે ખોટા છે. ભારતે એમ પણ કહ્યું છે કે અમેરિકાએ ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવાનું કહ્યું હતું. બીજી તરફ ટ્રમ્પે રશિયા પાસેથી સૌથી વધુ તેલ ખરીદતા ચીન પર કોઈ વધારાના ટેરિફ લગાવ્યા ન હતા.
આ પણ વાંચો – અમેરિકા દ્વારા ભારત પર 50% ટેરિફ લાગુ, શું ભારતમાં કેટલીક વસ્તુઓ સસ્તી થશે?
ટ્રેડ ડીલને લઇને ભારતનું કડક વલણ
અમેરિકા ઈચ્છે છે કે ભારત ટ્રેડ ડીલ પર ઝડપથી વાતચીત કરે પરંતુ ભારત કૃષિ અને ડેરી ક્ષેત્રોમાં વધુ પહોંચ મેળવવાની અમેરિકાની માંગને સ્વીકારવા માંગતું નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેમની સરકાર ખેડૂતો, માછીમારો અને પશુપાલકોના હિતો સાથે કોઈ પણ રીતે સમાધાન કરશે નહીં.