રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર ચૂંટણીને મેચ ફિક્સિંગ ગણાવી ફરી સવાલ ઉઠાવ્યા, દેવેન્દ્ર ફડણવીસે આપ્યો વળતો જવાબ

Rahul Gandhi on Maharashtra Elections: રાહુલ ગાંધીના ટ્વિટ પર પ્રતિક્રિયા આપતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે રાહુલ ગાંધીએ બિહારમાં પોતાની હાર સ્વીકારી લીધી છે. જ્યાં સુધી રાહુલ ગાંધી જમીન પર નહીં ઉતરે, તથ્યોને સમજશે નહીં, પોતાને અને પોતાની પાર્ટીને ખોટા આશ્વાસન નહીં આપે, ત્યાં સુધી તેમની પાર્ટી ક્યારેય જીતી શકશે નહીં

Written by Ashish Goyal
Updated : June 07, 2025 18:16 IST
રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર ચૂંટણીને મેચ ફિક્સિંગ ગણાવી ફરી સવાલ ઉઠાવ્યા, દેવેન્દ્ર ફડણવીસે આપ્યો વળતો જવાબ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (તસવીર: X)

Rahul Gandhi on Maharashtra Elections: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ફરી એકવાર મહારાષ્ટ્ર ચૂંટણીને લઈને આક્રમક બન્યા છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં કેવી રીતે ગરબડ કરવામાં આવી અને ભાજપને ફાયદો પહોંચાડવામાં આવ્યો. તેમણે તેને’ચૂંટણી કેવી રીતે ચોરી કરવી?’ એવું નામ આપ્યું હતું. રાહુલે તેને મેચ ફિક્સિંગ ગણાવ્યું છે. ભાજપે રાહુલના આરોપો પર પલટવાર કર્યો છે અને આ મોરચો સીધો મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે સંભાળ્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત એક લેખમાં રાહુલે ટાઇટલ’મેચ ફિક્સિંગ મહારાષ્ટ્ર’ આપ્યું છે. રાહુલે આ લેખ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કર્યો છે. આમાં તેમણે ‘ચૂંટણી કેવી રીતે ચોરાય છે?’નામથી એક-એક તબક્કામાં જણાવ્યું કે તેમના મતે આ ચૂંટણીમાં કેવી રીતે ગડબડી થઇ.

રાહુલે એક્સ પર પોતાની પોસ્ટ શેર કરી

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાના એક્સ પર લખ્યું છે કે 2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લોકતંત્રને નુકસાન પહોંચાડવા માટે એક સુનિયોજિત યોજના હતી. તેમણે ટ્વિટમાં એ પણ દાવો કર્યો કે ભાજપની નજર હવે બિહાર વિધાનસભાની ચૂંટણી પર છે, જે આ વર્ષના અંતમાં યોજાવાની છે.

રાહુલે કહ્યું – મહારાષ્ટ્રમાં મેચ ફિક્સિંગ

કોંગ્રેસ નેતાએ લખ્યું કે મહારાષ્ટ્રમાં જે મેચ ફિક્સિંગ થયું તે હવે બિહારમાં થશે અને પછી તે દરેક જગ્યાએ પહોંચશે જ્યાં ભાજપ હારી રહી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ભાજપે પાંચ તબક્કામાં રણનીતિ લાગુ કરી અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અને તેના પરિણામોને પ્રભાવિત કર્યા. રાહુલે પોતાના લેખમાં કહ્યું હતું કે મોદી સરકારે 2023માં ચૂંટણી કમિશનરોની નિમણૂક સંબંધિત કાયદામાં ફેરફાર કરીને તેને કેન્દ્ર સરકારની તરફેણમાં ઝુકાવ્યું હતું.

આ પણ વાંચો – પીએમ મોદીને કેનેડાથી G-7 નું આમંત્રણ મળ્યું, ઘણા દિવસોથી ચાલી રહ્યું હતું સસ્પેન્સ

રાહુલે તેને “અમ્પાયરોની નિમણૂક માટેની પેનલની હેરાફેરી” ગણાવી હતી અને કહ્યું હતું કે નવા કાયદા હેઠળ રચાયેલી પસંદગી સમિતિમાં વડા પ્રધાન, એક કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને લોકસભામાં વિપક્ષના નેતાનો સમાવેશ થાય છે. ત્યારબાદ આ પસંદગી સમિતિ રાષ્ટ્રપતિને મુખ્ય ચૂંટણી કમિશનર અથવા ચૂંટણી કમિશનરોના નામની ભલામણ કરે છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો કે ભારતના મુખ્ય ન્યાયાધીશને પસંદગી સમિતિમાંથી હટાવીને એક કેબિનેટ મંત્રીનો સમાવેશ કેમ કરવામાં આવ્યો? તમારી જાતને પૂછો, શા માટે કોઈ આની નિષ્પક્ષ સંસ્થામાંથી એક તટસ્થ ન્યાયાધીશને હટાવીને પોતાના માણસને મુકશે?

રાહુલ ગાંધીએ સ્ટેપ્સ સાથે સવાલો ઉઠાવ્યા

રાહુલ ગાંધીએ પોતાના લેખના કેપ્શનમાં લખ્યું છે કે ચૂંટણી કેવી રીતે ચોરાય છે? 2024ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ લોકશાહીને નુકસાન પહોંચાડવાની યોજના હતી. મારો લેખ સમજાવે છે કે આ બધું કેવી રીતે બન્યું. સ્ટેપ બાય સ્ટેપ.

  • ચૂંટણી પંચની નિમણૂક કરનારી પેનલમાં ગરબડ કરવી.
  • મતદાર યાદીમાં નકલી નામો ઉમેરવા.
  • મતદાનની ટકાવારી વધારીને બતાવવી.
  • ભાજપને જ્યાં પણ જીતવાની જરૂર હતી ત્યાં નકલી મતદાન કરાવવું.
  • સાબિતીને છુપાવી.

દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?

રાહુલ ગાંધીના ટ્વિટ પર પ્રતિક્રિયા આપતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે રાહુલ ગાંધીએ બિહારમાં પોતાની હાર સ્વીકારી લીધી છે. જ્યાં સુધી રાહુલ ગાંધી જમીન પર નહીં ઉતરે, તથ્યોને સમજશે નહીં, પોતાને અને પોતાની પાર્ટીને ખોટા આશ્વાસન નહીં આપે, ત્યાં સુધી તેમની પાર્ટી ક્યારેય જીતી શકશે નહીં.

દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધી વિશે કહ્યું હતું કે તેમણે જાગવું પડશે અને વાસ્તવિકતાને સમજવી પડશે. નહીં તો તેઓઆવી જ માથા પગ વગરની વાત કરતા રહેશે. ન તો રાહુલ ગાંધી સમજી રહ્યા છે કે ન તો તેઓ શું કહી રહ્યા છે, ન તો લોકો સમજી રહ્યા છે કે તેઓ શું કહી રહ્યા છે.

અમિત માલવિયાએ પણ રાહુલ ગાંધી પર ઉઠાવ્યા સવાલ

બીજી તરફ ભાજપના નેતા અમિત માલવિયાએ રાહુલ ગાંધીની એક્સ પરની પોસ્ટને રિપોસ્ટ કરતા લખ્યું કે એવું નથી કે રાહુલ ગાંધીને ખબર નથી કે ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે. તેઓ આ વાત સારી રીતે જાણે છે. પરંતુ તેમનો ઉદ્દેશ સ્પષ્ટતાનો નહીં, અરાજકતા ફેલાવવાનો છે. તેઓ વારંવાર ઇરાદાપૂર્વક આપણા સંસ્થાકીય માળખા વિશે મતદારોના મનમાં શંકા અને મૂંઝવણના બીજ રોપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

જ્યારે કોંગ્રેસ ચૂંટણી જીતે છે પછી તે તેલંગાણા હોય કે કર્ણાટક. ત્યારે આ જ વ્યવસ્થા ન્યાયપૂર્ણ અને નિષ્પક્ષ કહેવાય છે, પરંતુ જ્યારે પરાજય થાય છે. હરિયાણાથી મહારાષ્ટ્ર સુધી. ત્યારે રોકકડ કરવી અને કાવતરાંના સિદ્ધાંતો શરૂ થાય છે, અને તે પણ દર વખતે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ