Devendra Fadnavis on PM Narendra Modi Retirement: શિવસેના યુબીટી નેતા સંજય રાઉતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નાગપુર મુલાકાત બાદ કહ્યું કે તેઓ રિટાયરમેન્ટ તરફ આગળ વધી રહ્યા છે. આ મામલે હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારીની શોધ કરવાની જરૂર નથી કારણ કે તેઓ 2029માં પણ આ પદ પર બન્યા રહેશે.
નાગપુરમાં પત્રકારો સાથેની વાતચીતમાં ફડણવીસે કહ્યું કે તેમના ઉત્તરાધિકારીની શોધ કરવાની જરૂર નથી. તેઓ (મોદી) અમારા નેતા છે અને અમારા નેતા રહેશે. ઉત્તરાધિકારી મહારાષ્ટ્રના હોવાની અટકળોને ફગાવી દેતાં અને કટાક્ષ કરતા ફડણવીસે કહ્યું હતું કે આપણી સંસ્કૃતિમાં પિતા જિવિત હોય ત્યારે ઉત્તરાધિકારીની વાત કરવી યોગ્ય નથી. આ મુગલ સંસ્કૃતિ છે. તેની ચર્ચા કરવાનો સમય હજી આવ્યો નથી. નાગપુરમાં રહેલા આરએસએસના વરિષ્ઠ નેતા સુરેશ ભૈયાજી જોશીએ કહ્યું હતું કે વડાપ્રધાનને બદલવાની કોઇ વાતથી તેમને જાણકારી નથી.
સંજય રાઉતે કર્યો મોટો દાવો
શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે મીડિયાને જણાવ્યું હતું કે તેઓ કદાચ સપ્ટેમ્બરમાં તેમની નિવૃત્તિ અરજી લખવા માટે આરએસએસના મુખ્યાલય ગયા હતા. મારી માહિતી એવી છે કે છેલ્લા 10-11 વર્ષમાં પીએમ મોદીએ આરએસએસના મુખ્યાલયની મુલાકાત લીધી નથી. પીએમ મોદી મોહન ભાગવતને કહેવા ગયા છે કે ટાટા બાય-બાય હું જાઉં છું.
આ પણ વાંચો – અમર સંસ્કૃતિનું વટ વૃક્ષ છે RSS, નાગપુરમાં સંઘ અંગે શું શું બોલ્યા વડાપ્રધાન મોદી
હવે જુઓ કે આરએસએ વિશે બે બાબતો છે. પહેલું, સમગ્ર સંઘ પરિવાર દેશના નેતૃત્વમાં પરિવર્તન ઇચ્છે છે. હવે મોદીનો સમય પૂરો થઈ ગયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ પોતાની રીતે પસંદગી કરવા માંગે છે. પીએમ મોદી જઈ રહ્યા છે.
આ પહેલા પણ રિટાયરમેન્ટની ઉઠી હતી અટકળો
આ પહેલા પીએમ મોદીના રિટાયરમેન્ટને લઈને અટકળો લગાવવામાં આવી રહી હતી. લોકસભા ચૂંટણી દરમિયાન દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે પીએમ મોદીના રિટાયરમેન્ટ પર સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્થિતિ એકદમ સ્પષ્ટ કરી દીધી હતી. અમિત શાહે કહ્યું હતું કે હું અરવિંદ કેજરીવાલ એન્ડ કંપની અને ઇન્ડિયા એલાયન્સ ઇચ્છું છું કે પીએમ મોદી 75 વર્ષના થાય ત્યારે તમારે ખુશ થવાની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટીના બંધારણમાં ક્યાંય લખ્યું નથી. પીએમ મોદી આગળ પણ દેશનું નેતૃત્વ કરતા રહેશે. ભાજપમાં કોઈ મુંઝવણ નથી.