Amitabh Bachchan caller tune: છેલ્લા કેટલાક સમયથી અમિતાભ બચ્ચનની લગભગ દરેક પોસ્ટ પર ચાહકો ટિપ્પણી કરી રહ્યા હતા કે તેઓ ફોન પર તેમના અવાજથી કંટાળી ગયા છે, તેથી તેમણે બોલવાનું બંધ કરી દેવું જોઈએ. જેના પર અમિતાભ બચ્ચને જવાબ આપ્યો હતો કે ‘સરકારને કહો, મને નહીં, જ્યારે સરકારે કહ્યું ત્યારે અમે તે કર્યું.’ હવે એવું લાગે છે કે લોકોનો અવાજ યોગ્ય જગ્યાએ પહોંચી ગયો છે, કારણ કે આ કોલર ટ્યુન હવે સરકારે બંધ કરી દીધી છે.
હવે નહીં સંભળાય અમિતાભના અવાજમાં સાયબર ક્રાઇમની ચેતવણી
દેશમાં વધતા સાયબર ગુનાઓને કારણે ભારત સરકારે ટેલિકોમ કંપનીઓને દરેક કોલ પર જાગૃક્તા સંદેશ ચલાવવાની સૂચના આપી હતી, જેથી લોકો નકલી કોલ અને ઓનલાઈન છેતરપિંડીથી બચી શકે. આ માટે અમિતાભ બચ્ચનના મજબૂત અવાજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ યુઝર્સને કોલ કે મેસેજ પર OTP શેર ન કરવાની ચેતવણી આપતા હતા.
આ કારણોસર અમિતાભ બચ્ચનની આ કોલર ટ્યુન બંધ કરવાનો નિર્ણય લેવાયો
તેની શરૂઆત તો એક સારા ઇરાદાથી થઈ હતી પરંતુ આ કોલ લોકો માટે અસુવિધાનું કારણ બની ગયું. કારણ કે જ્યારે લોકો કટોકટીની સ્થિતિમાં ફોન કરતા હતા ત્યારે તે તેમને ઈરિટેડ કરતું હતું. 40 સેકન્ડ લાંબી આ કોલર ટ્યુન વારંવાર સાંભળીને લોકો હેરાન થઈ રહ્યા હતા. સોશિયલ મીડિયા પર તેની ખૂબ ટીકા થઈ રહી હતી. ત્યારબાદ ઇન્દોરના ભૂતપૂર્વ ધારાસભ્ય સુદર્શન ગુપ્તાએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને પત્ર લખ્યો હતો.
આ પણ વાંચો: ‘પાણી ક્યાંય નહીં જાય…’ બિલાવલ ભુટ્ટોની ગીધડ ધમકી પર સીઆર પાટીલે ચોખ્ખુ પરખાવ્યું
સુદર્શન ગુપ્તાએ જણાવ્યું હતું કે તેમણે બે વાર જોયું હતું કે આ કોલર ટ્યુન માર્ગ અકસ્માત સમયે કોલ કરવામાં અવરોધ બની હતી. અને મંત્રી સિંધિયા પણ આ માટે સંમત થયા હતા.
આ કોલર ટ્યુન સરકાર દ્વારા જાગૃતિ પહેલનો એક ભાગ હતો. હવે આ અભિયાન પણ પૂર્ણ થઈ ગયું છે અને હવે તેને દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.