Nitin Gadkari On US Trump Tariff Conflict With India : કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ શનિવારે નાગપુરમાં વિશ્વેશ્વરૈયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીં તેમણે કહ્યું કે, આજની દુનિયામાં જે દેશો દાદાગીરી કરી રહ્યા છે તે એટલા માટે સક્ષમ છે કારણ કે તેઓ આર્થિક રીતે મજબૂત છે અને તેમની પાસે ટેકનોલોજી છે. ગડકરીએ ભારતની નિકાસ વધારવા અને આયાત ઘટાડવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
વિશ્વેશ્વરૈયા નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં કાર્યક્રમને સંબોધિત કરતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, અત્યારે આપણે વિશ્વમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ, દેશમાં જે વિષયો પર ચર્ચા થઇ રહી છે તેનું નામ લેતા નથી. આ બધી સમસ્યાઓનો ઉકેલ માત્ર એક જ બાબત છે, તે છે વિજ્ઞાન અને ટેકનોલોજી. જો આપણે આ ક્ષેત્રમાં જ્ઞાનની શક્તિનો ઉપયોગ કરીએ, તો મને લાગે છે કે દુનિયા ઝુંકતી હૈ, ઝુકાના વાલા ચાહિયે. તે આપણા દેશની મહત્વપૂર્ણ બાબત છે. ”
આપણે વધુ નિકાસ કરવી પડશે : નીતિન ગડકરી
કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, “આજે આપણા દેશમાં સૌથી મોટી દેશભક્તિ બની શકે તેવી સૌથી મહત્ત્વની બાબતોમાંની એક છે આપણી આયાતમાં ઘટાડો કરવો અને નિકાસ વધારવી. વિશ્વ ગુરૂ બનવું હોય તો આ જરૂરી છે અને એટલે જ આપણા દેશની આપણી સંશોધન સંસ્થાઓમાં જે જરૂરિયાતો છે તે આ પ્રમાણે કંઈક કરવામાં આવે તો વધુ ઉપયોગી થશે. ઉદાહરણ તરીકે, દરેક જિલ્લામાં, દરેક પ્રદેશમાં, દરેક ક્ષેત્રમાં, જુદી જુદી બાબતો હોય છે. ”
અમારે કોઈની પાસે જવાની જરૂર રહેશે નહીં.
“જો આપણો આર્થિક દર વધશે, તો મને નથી લાગતું કે આપણે કોઈની પણ પાસે પહોંચવાની જરૂર પડશે. જે લોકો દાદાગીરી કરી રહ્યા છે તેઓ તે કરી રહ્યા છે કારણ કે તેઓ આર્થિક રીતે મજબૂત છે અને તેમની પાસે ટેકનોલોજી છે. જો આપણને વધુ સારી ટેકનોલોજી અને સંશાધનો મળશે, તો આપણે કોઈના પર દાદાગીરી જમાવીશું નહીં, કારણ કે આપણી સંસ્કૃતિ આપણને શીખવે છે કે વિશ્વનું કલ્યાણ સૌથી મહત્વપૂર્ણ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધારાના 25 ટકા ટેરિફની જાહેરાત કર્યાના ત્રણ દિવસ બાદ કેન્દ્રીય મંત્રી ગડકરીએ આ વાતો કહી હતી. ટ્રમ્પનો 25 ટકા વધારાનો ટેરિફ 27 ઓગસ્ટથી લાગુ થશે. હવે ભારત પર કુલ 50 ટકા ટેરિફ લગાવવામાં આવશે.