How To Elects Vice President In India : જગદીપ ધનખડ ભારતના ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું છે. જગદીપ ધનખરે 21 જુલાઇ, 2025 સોમવારે સાંજે સ્વાસ્થ્યના કારણોનો હવાલો આપી ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને પોતાનું રાજીનામું મોકલ્યું હતું અને કહ્યું હતું કે તેઓ તાત્કાલિક અસરથી પદ છોડી રહ્યા છે. સંસદનું ચોમાસું સત્ર શરૂ થયું તે જ દિવસે જગદીપ ધનખડે રાજીનામું આપ્યું છે. હવે દરેકના મનમાં એક જ સવાલ આવે છે કે, નવા ઉપરાષ્ટ્રપતિ માટે ક્યારે ચૂંટાશે અને આ ચૂંટણી કેવી રીતે યોજાય છે.
નવા રાષ્ટ્રપતિની ચૂંટણી ક્યારે થશે?
ભારતના બંધારણની કલમ 68 મુજબ ઉપરાષ્ટ્રપતિનું પદ તેમના નિધન, રાજીનામું કે પદ પરથી હટાવવાના કારણે કે અન્ય કોઈ કારણસર ખાલી થયા બાદ બને તેટલી વહેલી તકે ચૂંટણી યોજવામાં આવશે. તે પણ સ્પષ્ટ કરે છે કે ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ સામાન્ય રીતે પાંચ વર્ષનો હોય છે. ખાલી જગ્યા ભરવા માટે ચૂંટાયેલી વ્યક્તિને સંપૂર્ણ કાર્યકાળ મળશે, અગાઉના ઉપરાષ્ટ્રપતિની બાકીનો કાર્યકાળ મળશે નહીં. ઉપરાષ્ટ્રપતિ ભારત દેશનું બીજા ક્રમનું સર્વોચ્ચ બંધારણીય પદ છે. તેમનો કાર્યકાળ પાંચ વર્ષનો છે, પરંતુ કાર્યકાળ પૂરો થયા પછી પણ, જ્યાં સુધી તેમના અનુગામી પદ સંભાળે નહીં ત્યાં સુધી તેઓ પદ પર રહી શકે છે.
ઉપરાષ્ટ્રપતિ કેવી રીતે ચૂંટાય છે?
ભારતીય ધારણની કલમ 66 મુજબ, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પ્રમાણસર પ્રતિનિધિત્વ પ્રણાલી દ્વારા સંસદના બંને ગૃહોના સભ્યોની બનેલી ઇલેક્ટોરલ કોલેજના સભ્યો દ્વારા કરવામાં આવે છે. સંસદના બંને ગૃહના સભ્યો તેમાં ભાગ લે છે. પ્રત્યેક સંસદ સભ્ય માત્ર એક જ મત આપી શકે છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદસભ્યો સહિત ધારાસભ્યો પણ મતદાન કરે છે. પરંતુ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સ્થિતિ કંઈક અલગ જ હોય છે.
ઉપરાષ્ટ્રપતિ પદ માટે લાયકાત
કોઈ પણ વ્યક્તિ જ્યાં સુધી ભારતના નાગરિક ન હોય, 35 વર્ષ પૂર્ણ ન કરી હોય અને રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટણી માટે લાયક ન હોય ત્યાં સુધી તેને ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટી શકાય નહીં. ભારત સરકાર અથવા રાજ્ય સરકાર અથવા કોઈ પણ ગૌણ સ્થાનિક સત્તા હેઠળ લાભનું પદ ધરાવનાર વ્યક્તિ પણ પાત્ર નથી.
મતોની ગણતરી કેવી રીતે થાય છે?
હવે જો ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની મત ગણતરીની પ્રક્રિયા સરળતાથી સમજીયે તો સામાન્ય ચૂંટણીની જેમ સભ્યો કોઇ એક ઉમેદવારને મત આપતા નથી. તેઓ બેલેટ પેપરમાં તમામ ઉમેદવારોને પોતાની પસંદગી મુજબ 1, 2, 3 નંબર આપે છે, ઉમેદવારની સામે નંબર લખવાનો રહેશે. આ પછી, તમામ મતોની ગણતરી કરવામાં આવે છે. અડધા મત કાઢવામાં આવે છે અને 1 ઉમેરવામાં આવે છે. તે સંખ્યાને જીત માટે બહુમત માનવામાં આવે છે.