BJP Lok sabha elections strategy : કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ ભાજપ પોતાની રાજકીય રણનીતિ બદલવા માટે મજબૂર દેખાઇ રહી છે. પાર્ટી નેતૃત્વની ઉચ્ચ સ્તરીય બેઠક બાદ વિવિધ અટકળો શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, પાર્ટીના વડા જેપી નડ્ડા અને મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષ વચ્ચે સોમવારે મોડી સાંજે અને મંગળવારે બેઠક યોજાઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ચૂંટણીમાં પાર્ટીની સ્થિતિની સમીક્ષા કરવા માટે કરવામાં આવી હતી. આ બેઠકનો મહત્વનો મુદ્દો આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ટીડીપી સાથે ગઠબંધન અને તેને લગતી યોજના હોવાનું પણ કહેવાય છે.
વિવિધ ચૂંટણીલક્ષી રાજ્યોના પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફાની શક્યાત
ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વની આ સતત બેઠકો બાદ અનેક રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે. એવી પણ અટકલો સંભળાઇ રહી છે કે ભાજપ આંધ્રપ્રદેશ અને તેલંગાણા સિવાયના કેટલાક રાજ્યોના પ્રભારી સહિત પાર્ટી સંગઠનમાં મોટા ફેરફારો કરવા જઈ રહી છે. રાજસ્થાનમાં ફેરફાર થઈ ચૂક્યા છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાં પણ મોટા ફેરફારોની શક્યતા છે.
દક્ષિણના રાજ્ય અને મધ્યપ્રદેશ પર વધારે ધ્યાન કેમ?
ભાજપ મધ્યપ્રદેશ અને તેલંગાણા જેવા ચૂંટણીલક્ષી રાજ્યોમાં પોતાનું સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. આનું એક મોટું કારણ પાર્ટીની અંદર ચાલી રહેલ અણબનાવો હોવાનું પણ કહેવાય છે. આ સાથે ભાજપ માટે એક મોટો પડકાર પાર્ટીના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)નું વિસ્તરણ છે. જેને તાજેતરના વર્ષોમાં જનતા દળ (યુનાઈટેડ) અને અકાલી દળ જેવા પરંપરાગત ભાજપ સાથીઓએ ત્યજી દીધા છે. ભાજપ સમક્ષ સૌથી મોટું લક્ષ્ય 2024ની લોકસભા ચૂંટણીમાં પોતાને ટકાવી રાખવાનું છે, પરંતુ કર્ણાટકની ચૂંટણી બાદ ભાજપે આ દિશામાં મજબૂત કામગીરી કરવા માટે ઝડપી પગલાં લીધાં છે.
ભાજપના મધ્ય પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે અને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે તેમના સંબંધો બહુ સારા દેખાઈ રહ્યા નથી. તેના પરથી એવો અંદાજો લગાવી શકાય છે કે મધ્યપ્રદેશમાં પણ ભાજપને મોટા પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. એવી પણ આશંકા છે કે ચૂંટણી પહેલા મધ્યપ્રદેશમાં મોટો ફેરફાર થઈ શકે છે.
ઉપરાંત તેલંગાણાના ભાજપ નેતૃત્વ માટે વાતાવરણ બહુ સારું દેખાઈ રહ્યું નથી. એવા અહેવાલો છે કે સામાન્ય કાર્યકર્તાઓએ પ્રદેશ પ્રમુખ બાંડી સંજય કુમારના નેતૃત્વ સામે ઘણી ફરિયાદો પણ કરી છે.
ઓડિશા ટ્રેન અક્સમાત બાદ ભાજપ પર વિરોધ પક્ષના હુમલા
આ ઘટનાક્રમ એવા સમયે જ્યારે વિરોધ પક્ષો ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ રેલ્વે સુરક્ષાને લઈને ભાજપ સરકાર પર હુમલો કરી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર અને I&B રાજ્ય મંત્રી એલ મુરુગને મંગળવારે દિલ્હીથી ગ્વાલિયર સુધી વંદે ભારત ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો. તેઓ લક્ષ્મીબાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિકલ એજ્યુકેશનના દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા માટે ગ્વાલિયર ગયા હતા.
Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.





