Congress Alleges Vote Chori in Gujarat : કોંગ્રેસ એક પછી એક અનેક રાજ્યોમાં કથિત વોટ ચોરીનો મુદ્દો ઉઠાવી રહી છે. હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ભાજપ સરકાર પર વોટ ચોરીનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે કહ્યું કે નવસારી લોકસભા મતવિસ્તારમાં ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલના એક વિધાનસભા ક્ષેત્રમાંથી 30,000 નકલી મતદારો મળ્યા છે.
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે જો સમગ્ર રાજ્યની મતદાર યાદીની તપાસ કરવામાં આવે તો આશરે 62 લાખ જેટલા બનાવટી નામો બહાર આવી શકે તેમ છે. ચાવડાએ જણાવ્યું હતું કે પાર્ટી હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મતવિસ્તાર ઘાટલોડિયાની મતદાર યાદીની ચકાસણી કરશે.
અમિત ચાવડાએ કહ્યું – ગુજરાતમાં પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે
અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે શું કોઈ વ્યક્તિ એક મત આપી રહ્યો છે કે એકથી વધુ. આ વાતની પુષ્ટિ કરવા માટે અમે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલની લોકસભા બેઠક નવસારી હેઠળ આવતા વિધાનસભા મતવિસ્તાર ચોર્યાસીથી તપાસ શરૂ કરી હતી. આ મતવિસ્તારમાં 6 લાખ જ હજાર મતદારો છે, જેમાંથી અમે પ્રાથમિક તપાસમાં 2,40,000 મતદારોની તપાસ કરી છે. તપાસ બાદ જાણવા મળ્યું કે 12.3 ટકા મતદારો નકલી છે. અને કદાચ આ જ કારણ છે કે સીઆર પાટીલ રેકોર્ડ મતોથી જીતી રહ્યા છે.
આ પણ વાંચો – પંચમહાલના હાલોલમાં 10 ઇંચ વરસાદ, નર્મદા ડેમ 94 ટકા ભરાયો
આ બેઠક પર 30,000 મતદારો શંકાસ્પદ કે નકલી – અમિત ચાવડા
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આ બેઠક પર 30,000 મતદારો શંકાસ્પદ કે નકલી હોવાનું જણાયું હતું. કલ્પના કરો, જો એક મતવિસ્તારની આવી પરિસ્થિતિ હોય, તો આખા રાજ્યનું શું હશે. ચાવડાએ આ યાદીમાંથી કેટલાક શંકાસ્પદ અને બનાવટી મતદારોના નામ પણ વાંચ્યા હતા.
તેમણે કહ્યું કે વોટ ચોરી હવે રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે અને ગુજરાતનું સત્ય બહાર આવ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસે 31 ઓગસ્ટે આ મુદ્દે ‘ડોર ટુ ડોર’ અભિયાન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધી કથિત મત ચોરીના મુદ્દે બિહારમાં મતદાર અધિકાર યાત્રા કાઢી રહ્યા છે.