CBSEના બે મોટો નિર્ણય, ધોરણ 10 અને 12ની ઉત્તરવહીઓનું ડિજિટલ મૂલ્યાંકન કરશે, આગામી વર્ષથી ધોરણ 9માં ઓપન બુક એક્ઝામ

CBSE Exam System : CBSE બોર્ડ ટૂંક સમયમાં જ અન્ય બોર્ડ, યુનિવર્સિટીઓ અને અન્ય રાજ્યની પરીક્ષાઓમાં આ કામગીરી કરી ચૂકેલી અનુભવી એજન્સીઓની પસંદગી કરશે અને તેમને જવાબદારી સોંપશે.

Written by Ajay Saroya
August 10, 2025 12:04 IST
CBSEના બે મોટો નિર્ણય, ધોરણ 10 અને 12ની ઉત્તરવહીઓનું ડિજિટલ મૂલ્યાંકન કરશે, આગામી વર્ષથી ધોરણ 9માં ઓપન બુક એક્ઝામ
CBSEની નવી કરિયર ગાઈડલાઈન - Express photo

CBSE Exam System : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ)એ દસમા અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષાઓની ઉત્તરવહીઓનું ડિજિટલ મૂલ્યાંકન કરવાનો નિર્ણય લીધો છે. આ માટે બોર્ડ ટૂંક સમયમાં એક અથવા વધુ એજન્સીઓની પસંદગી કરશે. સીબીએસઈના સંચાલક મંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સંચાલક મંડળની બેઠકમાં સભ્યોએ સૂચન કર્યું હતું કે બોર્ડની વિવિધ પ્રાદેશિક કચેરીઓમાં કેટલાક વિષયોમાં પાયલોટ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ જ તમામ વિષયોમાં ‘ઓન-સ્ક્રીન’ મૂલ્યાંકનનો અમલ કરવામાં આવે.

આ બેઠકની સમીક્ષા મુજબ, ઉત્તરવહીઓના મૂલ્યાંકન માટેનો સમય ઘટાડવા અને મૂલ્યાંકનમાં વધુ ચોકસાઈ લાવવા માટે, સીબીએસઈએ 2014 માં કેટલીક પ્રાદેશિક કચેરીઓ હેઠળ ધોરણ 10 ની બોર્ડ પરીક્ષાના પસંદ કરેલા વિષયો માટે ‘આન્સર શીટ્સનું ડિજિટલ મૂલ્યાંકન’ અને 2015 માં દિલ્હી ક્ષેત્રમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષા લાગુ કરી હતી. મૂલ્યાંકનમાં ગુણવત્તા, ઝડપ અને પારદર્શકતા વધારવા માટે બોર્ડ સતત ઉચ્ચ ધોરણો સ્થાપિત કરવા અને એકંદર ગુણવત્તામાં સુધારો કરવા માટે વિવિધ પહેલ નિયમિતપણે કરી રહ્યું છે.

CBSE એ એવો પણ નિર્ણય લીધો છે કે, ઉત્તરવહીઓના ડિજિટલ મૂલ્યાંકન માટે, બોર્ડ કેન્દ્ર /રાજ્ય સરકારના નિયંત્રણ હેઠળની શાળા બોર્ડ, યુનિવર્સિટીઓ અથવા પરીક્ષા સંસ્થાઓ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં ઉત્તરવહીઓના ડિજિટલ મૂલ્યાંકનનો અગાઉનો અનુભવ ધરાવતા સેવા પ્રદાતાઓની પસંદગી કરશે.

આ સેવા પ્રદાતાઓ ટેકનિકલ ભાગીદારો સાથે અથવા તેના વિના પણ હોઈ શકે છે. દસમા અને બારમા ધોરણની પરીક્ષાઓ એક સંવેદનશીલ અને ગોપનીય પ્રક્રિયા છે, તેથી ઉત્તરવહીઓની ડિજિટલ મૂલ્યાંકન પ્રણાલીની કામગીરી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ કામનો અંદાજીત ખર્ચ રૂ.28 કરોડ છે. બોર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ટેકનોલોજીનો ઉપયોગ હવે વિવિધ યુનિવર્સિટીઓમાં થઇ રહ્યો છે અને તે ફાયદાકારક સાબિત થઇ છે. આ ટેકનિકની મદદથી પ્રદેશવાર મૂલ્યાંકનમાં અસમાનતા દૂર થશે, જે પરીક્ષા પ્રક્રિયાને વધુ મજબૂત બનાવશે. માટે આ ટેકનિકને અપનાવવી ખૂબ જરૂરી છે.

આગામી વર્ષથી ધોરણ 9માં ઓપન બુક પરીક્ષા

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) એ શૈક્ષણિક સત્ર 2026-27 થી ધોરણ 9 ની પરીક્ષાઓમાં ‘ઓપન-બુક’ મૂલ્યાંકનનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. બોર્ડ મારફતે કરવામાં આવેલા પાયલોટ અધ્યયનમાં જાણવા મળ્યું છે કે શિક્ષકોએ આ પ્રકારના મૂલ્યાંકનને ટેકો આપ્યો છે તે પછી આ પગલું લેવામાં આવ્યું છે. નવી સિસ્ટમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી) 2020 ના આધારે તૈયાર કરવામાં આવેલા રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન (એનસીએફએસઈ) 2023 ને અનુરૂપ છે.

તેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓની યાદશક્તિને બદલે તેમની સમજણ અને વિશ્લેષણાત્મક ક્ષમતાને ચકાસવાનો છે. ઓપન-બુક મૂલ્યાંકનને ભાષા, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જેવા ધોરણ નવના મુખ્ય વિષયોમાં ત્રણ પેન-પેપર પરીક્ષાઓમાંથી એકના ભાગ રૂપે સમાવિષ્ટ કરવામાં આવશે. આ પરિવર્તન વિદ્યાર્થીઓને ગોખણપટ્ટીને બદલે શીખવા અને સમજવા પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રોત્સાહિત કરશે. ઓપન-બુક પરીક્ષામાં, વિદ્યાર્થીઓ પ્રશ્નોના જવાબ આપતી વખતે તેમના પુસ્તકો, નોંધો અથવા અન્ય સંદર્ભ સામગ્રીનો ઉપયોગ કરી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ